રંગમાં ભંગ/નવરાત્રીમાં વરસાદ પણ ‘રમઝટ’ બોલાવશે, 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે: અંબાલાલની નવી આગાહી

ખેલૈયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. અંબાલાલની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદ પડી શકે છે.

• હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન

• ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના

• ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા 

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદના વરતારા કર્યા છે.

26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો: અંબાલાલ પટેલ

અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે.26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ: અંબાલાલ પટેલ

અંબાલાલે વધુમાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 25 થી 27 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.

હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટર

ખેડૂતો માટે સારી વાત એ છે કે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ફરી પાણી છોડાયું છે. ઉપરવાસથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણીની કુલ જાવક 1.20 લાખ ક્યુસેક છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટરે છલોછલ ભર્યો છે. તો બીજી તરફ છેલ્લા 3 દિવસથી વરસાદ બંધ થતાં ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 342.72 ફૂટ પર છે. જે ભયજનક સપાટીથી અઢી ફૂટ દૂર છે.

નવરાત્રિના દિવસો દરમ્યાન સામાન્ય વરસાદ થઈ શકે: હવામાન વિભાગ

હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં 25 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.

Leave a Comment