ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી.

ગુજરાતમાં હજુય કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની શક્યતા

• દક્ષીણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.

• દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં

આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં આજે મેઘરાજા મહેરબાન થશે. મહત્વનું છે કે, હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમે-ધીમે વિદાય લેવાની તૈયારીમાં છે. એવામાં હવામાન વિભાગે ગઇકાલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાંથી હજુ ચોમાસાએ વિદાય લીધી નથી એટલે 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી.

આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવ શરૂ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી ગઈ છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ ઓછી છે. નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત મળી છે.

ગઇકાલે 22 તાલુકાઓમાં પડ્યો હતો વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગઇકાલે 22 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ગણદેવીમાં સૌથી વધુ સવા પાંચ ઈંચ વરસાદ જ્યારે જલાલપોરમાં 4.5 ઈંચ, પલસાણામાં 3.5 ઈંચ, નવસારીમાં 3.5 ઈંચ જયારે વઘઈમાં 2.5 ઈંચ, સુબિરમાં સવા બે ઈંચ જયારે ઉમરગામ અને વાંસદામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

Leave a Comment