આગાહી / આગામી 48 કલાક અતિભારે: દિવાળીમાં જ આ રાજ્યમાં વાવાઝોડાનો ખતરો, સરકાર ઍલર્ટ

– હવામાન વિભાગે કહ્યું કે, 22 ઓક્ટોબરે ચક્રવાત સી-વેવ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે

દિવાળીના તહેવારોમાં જ ઓડિશા પર ભયંકર ચક્રવાતનો ખતરો

IMD અનુસાર ચક્રવાત C- વેવ ઉત્તર આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં સક્રિય
23 અથવા 24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે
દિવાળી પહેલા ઓડિશા પર ભયંકર ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. IMD અનુસાર ચક્રવાત C-વેવ ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આગામી 12 કલાકમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બને તેવી પુરે પૂરી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, 22 ઓક્ટોબરે ચક્રવાત C-વેવ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આગામી 48 કલાક પછી 23 અથવા 24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ચક્રવાત પહેલા ઓડિશા સરકારે ચક્રવાતની સંભાવના ધરાવતા જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ પર રહેવાનો આદેશ પણ આપ્યો છે. સંભવિત વાવાઝોડાને જોતા સરકારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ આપી દીધો છે. સ્થિતિને જોતા ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રશાસને 22 ઓક્ટોબરથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપી છે. તેમજ 22 ઓક્ટોબરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45 થી 65 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.

આ સાથે જ ઓડિશા સરકારે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને ચક્રવાતથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. રાજ્ય સરકારે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવા સિવાય તેના કર્મચારીઓની રજાઓને રદ કરી છે. આ સાથે રાજ્યના સાત કિનારાના જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓડિશા સરકારે ચક્રવાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રપારા, જગતસિંહપુર, પુરી, બાલાસોર, ભદ્રક, ખુર્દા અને ગંજમ જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચક્રવાતની સંભાવના ધરાવતા જિલ્લાઓના કલેક્ટરને 22 ઓક્ટોબર પહેલા દરિયા કિનારે રહેતા ગ્રામજનોને સુરક્ષિત સ્થાનો પર ખસેડી જવાની સૂચના પણ આપવામાં આવી છે. હાલમાં ચક્રવાતથી બચવા માટે દરિયાકાંઠાના ગામોમાં આશ્રય સ્થાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ જિલ્લા અધિકારીઓએ માછીમારોને મચ્છી પકડવા માટે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. આ સાથે જ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે.

Leave a Comment